આજકાલ રમઝાનમાં ઘણી મસ્જિદોમાં તરાવિહની નમાઝ બહુ ઝડપથી પઢવામાં આવે છે. કેટલાક સ્થળોએ માત્ર ૬ કે ૧૦ દિવસમાં જ પવિત્ર કુરઆન-એ-શરીફ ખતમ કરી દેવાય છે. આ એક નવી પ્રથા બની ગઈ છે, જે ઈબાદતના મૂળ હેતુથી દૂર લાગી રહી છે.
તરાવિહની હકીકત: તરાવિહ એક ખાસ નફલ નમાઝ છે, જે પૂરા મહિના દરમિયાન કુરઆન ને શાંતિ અને એકાગ્રતા સાથે સાંભળી ને અદા થવી જોઈએ. કુરઆનને તજવીદ અને મખારીજ ના કાયદા પ્રમાણે સ્પષ્ટ અને સરળ ઉચ્ચારણ સાથે પઢવું જરૂરી છે. પરંતુ આજકાલ મસ્જિદ કમિટીઓ આવા કારીઓને પસંદ કરે છે, જે ઝડપભેર–સુપર ફાસ્ટ તરાવિહ પઢાવે.
ઈબાદત કે જવાબદારી? આવી ઝડપભેર નમાઝ પઢવી માત્ર એક ઉઠક-બેઠક જેવી બની જાય છે, જે ઈબાદત નહીં પરંતુ એક ભારરૂપ બની જાય છે. જો કુરઆનના શબ્દો સ્પષ્ટ ન બોલાય, તજવીદના નિયમો ભંગ થાય અને અર્થ સ્પષ્ટ ન થાય, તો નમાઝમાં ખોટ પડી શકે છે. અલ્લાહ તઆલાએ કુરઆન શાંતિ અને એકાગ્રતા સાથે તિલાવત કરવાનો હુકમ આપ્યો છે.
સુરાહ મુજ્જમ્મિલ આયાત ૪– وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا અને કુરઆન ને વિરામ સાથે સ્પષ્ટ રીતે પઢો
હદીસ માં પણ આવે છે કે નમાઝ નાં રૂકુ અને સજદા ઇત્મિનાન થી કરવા માં આવે (સહીહ બુખારી–૮૨૧, ૬૨૫૧)
સાચી તરાવિહ કેવી હોવી જોઈએ? ✔ આરામદાયક ગતિએ (બહુ ધીમી નહીં અને બહુ ઝડપી નહીં) તિલાવત થવી જોઈએ. ✔ તાજવીદ અને મખરીજ મુજબ શબદો સ્પષ્ટ હોવા જોઈએ. ✔ આહિસ્તા અને એકાગ્રતાથી ઈબાદત થવી જોઈએ. ✔ પૂરા મહિના દરમ્યાન તરતીબ સાથે ૨૭ અથવા ૨૯ દિવસમાં કુરઆન પૂરુ થવું જોઈએ.
ઘણી જગ્યાએ અલમતરા ની તરાવિહ માં એક શ્વાસ માં અલહમ્દુ શરીફ અને એક શ્વાસ માં બીજી સુરત પઢી ને આમ કુલ અડધો પોણો કલાક માં જ નમાઝ ખતમ કરવાં માં આવે છે.
તાત્કાલિક ફાયદો કે સજા? જે તરાવિહમાં ઝડપથી, બિન-તજવીદ અને અસ્પષ્ટ રીતે પઢવામાં આવે, તેમાં સવાબ મળવાને બદલે અઝાબ થવાની ભીતી રહે છે. અલ્લાહ ની ઈબાદત એક શાંતિભર્યો અનુભવ હોવો જોઈએ, માત્ર એક ફરજરૂપે પૂરો કરેલો રિવાજ નહીં. આપણે સૌએ વિચારવું જોઈએ – અમારી તરાવિહ સવાબ માટે છે કે માત્ર જલદી પૂરી કરવા માટે?